બકરી ઈદના દિવસે મળી ધમકી: આયોધ્યાના રામ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, જૈશનો ઓડિયો વાઈરલ થતા ઉત્તરપ્રદેશમાં એલર્ટ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan14062024_120503_Ram Nandir.webp)
- 14 Jun, 2024
અયોધ્યાના રામ મંદિરને એક વખત ફરીથી બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી મળી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ ધમકી આપી છે. આ દરમિયાન એક ઓડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. તે પછીથી યોગી સરકારે એલર્ટ આપ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ જૈશનો ધમકી આપતો એક ઓડિયો પણ સામે આવ્યો છે. આ ઓડિયોમાં આમિર નામના આતંકીને એમ કહેતા સાંભળી શકાય છે કે અમારી મસ્જિદને હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે.
જૈશના આતંકીઓએ કહ્યું કે અમારા ત્રણ સાથીઓ કુર્બાન થયા છે અને હવે આ મંદિરને તોડવું જ પડશે. સરકારા દ્વારા એલર્ટ ઈસ્યુ કરવામાં આવ્યા પછીથી સુરક્ષા એજન્સીઓ પણ હાલ એલર્ટ મોડમાં છે. રાજ્ય સરકાર તરફથી સુરક્ષા એજન્સીઓને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રામ મંદિરને ઉડાવવાની ધમકી આ પ્રથમ વખત મળી નથી. અગાઉ પણ અયોધ્યાના રામ મંદિર પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. જાન્યુઆરીમાં જ આતંકીઓએ આ અંગે ધમકી આપી હતી. જોકે પછીથી કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ નકલી ધમકી છે.
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પછીથી શ્રદ્ધાળુઓની સિક્યોરિટીને વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત રામપથ પર શંકાસ્પદ દેખાતી વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી છે. રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જૈશ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા પછીથી હાલ અહીં ડરનો માહોલ છે. જોકે તમામ એજન્સીઓ હાલ સતર્ક છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ જાન્યુઆરીમાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા ઈંતખાબ આલમ નામના આરોપીની પોલીસે 21 જાન્યુઆરીના રોજ ધરપકડ કરી હતી. બિહાર પોલીસે તેને અરરિયા જિલ્લામાંથી દબોચી લીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ તેણે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાનું કબૂલ્યું હતું. સાથે પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે ઈંતખાબ આલમ નામના આ યુવકનું દાઉદ ગેંગ સાથે ખાસ કનેક્શન છે. પોલીસને ધમકી આપતી વખતે પણ તેણે દાઉદ ગેંગનો વ્યક્તિ હોવાની ઓળખ આપી હતી.
પોલીસે રામ મંદિરને બોમ્બથી ઉડાવી નાખવાની ધમકી આપનાર 21 વર્ષીય મોહમ્મદ ઈંતખાબ આલમની ધરપકડ કર્યા પછીથી તેની સઘન પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે બિહારના અરરિયા જિલ્લાના બલુઆ ગામનો રહેવાસી છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલ્યો હતો. તેણે એ સ્વીકાર્યું હતું કે તેણે જ શ્રીરામ મંદિર અયોધ્યાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી હતી. તે 22 જાન્યુઆરીએ રામ મંદિર પર બોમ્બ બ્લાસ્ટ કરીને અયોધ્યામાં તબાહી મચાવવા માંગતો હતો.